પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ | Pustako ni Maitri Nibandh in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

આજનો આ૫ણો લેખ પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ લેખન અંગેનો છે. પુસ્તકોનો માનવીના જીવન ઘડતર પર નિર્ણાયક પ્રભાવ પડે છે.. તેથી જ તો ઘણી વાર વિવિઘ ૫રીક્ષાઓમાં પુસ્તકો આપણા મિત્રો, જીવનમાં પુસ્તક નું મહત્વ નિબંધ(pustak nu mahatva in gujarati) અથવા તો પુસ્તકોની મૈત્રી વિશે નિબંધ લેખન પ્રશ્ન પુછાતો હોય છે. તો ચાલો આજે આ૫ણે પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ વિશે વિસ્તુત ગુજરાતી નિબંઘ લેખન કરીએ.

પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ (Pustako ni Maitri Nibandh in Gujarati ) :-

મનુષ્ય એક સામાજીક પ્રાણી છે. એરિસ્ટોટલનં આ વાક્ય સંપૂર્ણ સાચું છે. તે એકલો ભાગ્યે જ રહી શકે છે. એકલતા તેને કોરી ખાય છે. એટલે તો તેને સંગી, સાથી, મિત્ર ની આવશ્યકતા પડે છે. મિત્ર વિનાનું જીવન સાચે જ રુક્ષ અને શુષ્ક પ્રતીત થાય છે. જેને સાચો જીગરી દોસ્ત નથી, તેનું જીવન નિરર્થક તો છે જ, સાથોસાથ તેના જેવું દુર્ભાગી આ જગતતમાં બીજુ કોઇ નથી. સુખ-દુઃખ, આશા-નિરાશા, ચડતી-પડતી માં મિત્ર ઢાલ સમાન છે. એમાંય ખાસ કરીને વિપત્તિના સમયે પડછાયો બની સહાયભૂત થનાર જ સાચો મિત્ર છે. માટે જ કહેવાયું છે કે, ” A friend in need is a friend indeed” 

”સંગ તેવો રંગ” એ કહેવત માણસની બાબતમાં સાચી હોય, તે કરતાં પુસ્તક ની બાબતમાં વધુ સાચી જણાય છે. મિત્રોની જેમ પુસ્તકોનો માનવીના જીવન ઘડતર પર નિર્ણાયક પ્રભાવ પડે છે. એક આદર્શ મિત્રની જેમ એક ઉત્તમ પુસ્તક મનુષ્યને સુખ દુઃખ માં સાથ સહારો અને સાંત્વના આપે છે એક અંગ્રેજી ઉક્તિ યથાર્થ  કરે છે “A good book is man’s friend, philosopher and guide” પુસ્તકો આપણા સાચા મિત્રો છે, એમ કહેવામાં લેશમાત્ર અતિશયોક્તિ નથી. મણિલાલ દ્વિવેદી એ સાચું જ કહ્યું છે કે, આપણું વાંચન એ જ આપણા જીવનનું ખરું પ્રતિબિંબ છે. જ્ઞાની એ પણ સાચું જ કહ્યું છે કે માણસ કોની સાથે રહે છે અને શું વાંચે છે તે કહો એટલે તે કેવો છે તે કહી શકાશે. 

Must Read : વાંચન નું મહત્વ નિબંધ

pustako ni maitri nibandh in gujarati

કેટલાકના જીવનમાં પુસ્તકો મહાન ૫રિવર્તન લાવે છે. રસ્કિન ના પુસ્તક ”અન ટુ ધ લાસ્ટ” એ ગાંધીજીને સત્યાગ્રહ ની પ્રેરણા આપી હતી. શ્રમદ ભગવત ગીતા, કુરાન અને બાઈબલ જેવા પુસ્તકો એ જગતના અસંખ્ય લોકોને ઉમદા માર્ગદર્શન આપ્યું છે. ઉત્તમ પુસ્તકો ની મૈત્રી સાધનાર મનુષ્ય ગમે તેવી અવસ્થામાં મુકાતો નથી કે દુઃખી થતો નથી. સારા પુસ્તકો માં ગ્રંથસ્થ થયેલું મહાપુરુષોનું જીવનદર્શન દુ:ખ કે વિપત્તિમાં ધીરજ અને શાંતિ આપે છે. તે માનવીના અસહ્ય દુઃખને પણ હળવુ બનાવે છે. શ્રેષ્ઠ પુસ્તકો મનુષ્યના વહેમ, અંધશ્રદ્ધા અને અજ્ઞાનને દૂર કરે છે. સારા પુસ્તકો કદી આપણને એકલા કરી દેતા નથી એ હંમેશાં સાથ નિભાવે છે. માટે જ રોબર્ટ સંઘે નામના અંગ્રેજ કવિએ પુસ્તકોની મૈત્રી માટે લખ્યું છે કે,

 My verer falling friends are they,

 with whom I converse day by day.

(મને કદી એકલા મૂકીને ન જતા રહે તેવા (પુસ્તકો) મારા મિત્રો છે

 જેમની સાથે હું દરરોજ ચર્ચા કરું છું )

પુસ્તકોની મૈત્રી રાખનાર માનવીને કદી એકલાપણું સાલતું નથી. તેની કોટડીમાં અમર થઈ ગયેલા મહાપુરુષો અક્ષરદેહે બિરાજે છે. જગતના મહાન દાર્શનિકો, કવિઓ, મહાપુરુષો વગેરે તેને પ્રસંગોચિત માર્ગદર્શન આપવા હાજરા-હજૂર હોય છે. શ્રીમદ ભગવત ગીતા જેવા પુસ્તકોમાંથી અનેક મહાપુરુષો ને સદીઓથી પ્રેરણા મળી રહી છે. ગાંધીજી કહેતા ”જ્યારે જ્યારે મને મૂંઝવણ થાય છે ત્યારે ત્યારે હું ગીતામાંથી માર્ગદર્શન મેળવુ છું.” ઉત્તમ પુસ્તકોની ઉપકારકતા મૈત્રીનું જવલંત ઉદાહરણ છે.

Must Read : ઓનલાઇન થઇ રહેલું વિશ્વ નિબંધ

પુસ્તકોની મૈત્રી નિબંધ
જીવનમાં પુસ્તકોનું મહત્વ નિબંધ

બધા પુસ્તકો એકસરખા ઉપકારક નથી હોતા. રામાયણ અને મહાભારત જેવા ઉચ્ચ કોટિના પુસ્તકો વિશાળ જનસમાજને સદીઓ સુધી દોરવણી આપી શકે છે. ”સરસ્વતી ચંદ્ર” અને ”માનવીની ભવાઈ” જેવા પુસ્તકો સમાજજીવનનં અને માનવ ભાવોનું ઊંડુ દર્શન કરાવી શકે છે. એનાથી ઊલટું છિછરા અને અશ્લીલ પુસ્તકોના વાંચનથી લોકો ગેરમાર્ગે દોરવાઈ જાય છે.

ખરેખર સારા પુસ્તકો માનવીના અન્ય મિત્રો બની શકે છે. પરંતુ માનવ મિત્રોની જેમ પુસ્તક મિત્રોની પસંદગીમાં પણ વિવેક તો દાખવવો જોઇએ.

જીવનમાં પુસ્તકોનું મહત્વ :-

”સફળ જીવન માત્ર, સારા પુસ્તકોના સંગને પાત્ર” સારા પુસ્તકોનું વાંચન આપણા જીવનને ઉત્તમ બનાવે છે. પુસ્તકોની મૈત્રી માનવીના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. આપણે અભ્યાસક્રમ માટે નિયત થયેલા પુસ્તકો વાંચીએ છીએ તેનાથી આપણા જ્ઞાનમાં વધારો થાય છે. પરંતુ આપણને મળતું જ્ઞાન મર્યાદિત હોય છે. વાંચતા આવડતું હોવા છતાં વાંચન ન કરનાર માણસ અને અભણ માણસ વચ્ચે કોઇ ફરક રહેતો નથી.

સારા પુસ્તકો સાચા મિત્રો ની ગરજ સારે છે. આપણા ધાર્મિક ગ્રંથો, પુરાણો, વેદો વિગેરે જેવા પુસ્તકોમાંથી જગતના અનેક લોકોને જીવન જીવવાની પ્રેરણા મળતી રહે છે. “Un to the last”, “Vision 20-20”, “”Wings of fire” પુસ્તકોમાંથી વિદ્યાર્થીના જીવનમાં ઉત્સાહ જગાડી કામ કરવાની પ્રેરણા મળે છે. ભારતીય સંસ્કૃતિને વર્ષો સુધી ટકાવી રાખવા માટે પણ પુસ્તકોનો સહારો લેવો પડે છે. મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચવાથી વિપત્તિમાં શાંતિ રાખવાની પ્રેરણા મળે છે. સારા પુસ્તક સુખ દુઃખના સાથી છે ઉત્તમ પુસ્તકો સંમભાવપૂર્વક જીવન જીવવાની પ્રેરણા આપે છે.સારા પુસ્તકો આપણા જીવનમાં હિંમત, શોર્ય, બહાદુરી, પ્રેમ, ક્ષમા જેવા મહાન ગુણોનો વિકાસ કરે છે. સારા પુસ્તકો અંધશ્રદ્ધા, વહેમ, કુરિવાજો વગેરે દૂર કરવા અને મૂંઝવણમાંથી માર્ગ કાઢવા માટે પણ ઉપયોગી બને છે. પુસ્તકો અરીસા સમાન છે. તેઓ સત્ય વક્તા અને સ્પષ્ટ વક્તા છે. તેઓ આપણા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. 

Must Read : મારા સપનાનું ભારત નિબંધ

પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ
પુસ્તકો આપણા મિત્રો નિબંધ

પુસ્તકો ચિતનો સર્વોત્તમ ખોરાક છે. એક વિચારક નું કથન છે કે, માનવજાતિએ જે પણ કંઈ વિચાર્યું, કર્યું કે પામ્યું છે એ પુસ્તકોમાં સચવાયેલું છે. માનવ સભ્યતા અને સંસ્કૃતિના વિકાસ નો પુરો શ્રેય પુસ્તકોને જાય છે. પુસ્તકોનું મૂલ્ય અને મહત્વ અનન્ય છે. પુસ્તકો આપણા અંતઃકરણને ઉજાળે છે. સારા પુસ્તકો મનુષ્યને પશુ થી દેવત્વ તરફ લઈ જાય છે. તેની સાત્વિક વૃત્તિઓને જાગૃત કરી તેને પથભ્રષ્ટ થતાં બચાવે છે. તથા તે મનુષ્ય, સમાજ અને રાષ્ટ્રનું માર્ગદર્શન પણ કરે છે. પુસ્તકોનો આપણાં ચિત્ત પર સ્થાયી પ્રભાવ પડે છે અને તે પ્રેરણાદાયક હોય છે.

પુસ્તકો મનોરંજનના ક્ષેત્રમાં પણ મનુષ્યની સેવા કરે છે. અહીં મનોરંજન નું તાત્પર્ય કેવળ પુષ્કળ આનંદ માત્ર નો જ નહીં, પરંતુ તેનો ગહન અર્થ પણ છે. જે પુસ્તકો વાચકોને તેમના મન(ચિત્ત) માં ઊંડે સ્પર્શે છે તે ખરા અર્થમાં મનોરંજક પુસ્તકો છે. જે પુસ્તકો વાચકને ઊંડાણથી સ્પર્શશે તે જ આહલાદક હોય છે. આવા હળવાફૂલ સાહિત્યનું મહત્વ કંઈ ઓછું ન આંકી શકાય. આવું સાહિત્ય મનુષ્યની માનસિક તાણને મહદઅંશે ઓછી કરે છે અને તેના મુર્જાયેલ મનને ફરી ખીલવી દે છે.એટલે જ લોકમાન્ય તિલકે કહ્યું છે કે, 

 “હું નરકમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ, કેમ કે તેમનામાં એવી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ ખડું થશે.”

પુસ્તકો મનને એકાગ્ર કરવા અને સંયમિત બનાવવા માટેનું સરળ સાધન છે. અભ્યાસ કરતાં કરતાં મનુષ્ય જીવનની સમાધિની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. એકવાર લોકમાન્ય તિલકનું ઓપરેશન થઈ રહ્યું હતું, એને માટે એમને કલોરોફોર્મ સુંઘાડીને બેભાન કરવાના હતાં, પરંતુ એને માટે તેમણે ડોકટરને ના પાડી અને કહ્યું, “મને એક ગીતાનું પુસ્તક લાવી આપો હું એને વાંચતો રહીશ અને તમે ઓપરેશન કરી નાંખજો. ગીતા લાવી આપવામાં આવી લોકમાન્ય એનો અભ્યાસ કરવામાં એવા તલ્લીન બની ગયા કે ડોકટરોએ ઓપરેશન કર્યું ત્યાં સુધી જરા પણ હાલ્યા પણ નહીં તેમજ તેમને જરાય દુ:ખ માલુમ પડ્યું નહીં. પુસ્તકો વાંચવામાં આવી એકાગ્રતા થાય છે, જે લાંબી યોગ સાધનાઓ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાતી નથી.

સારા પુસ્તકો માણસને જ્ઞાન અને આનંદ પ્રમોદ બંને પ્રદાન કરે છે. વિજ્ઞાન, વાણિજ્ય, કલા અને કાયદા કાનુન ના પુસ્તકો મનુષ્યના જ્ઞાનમાં વધારો કરે છે. તેને વાંચી મનુષ્ય પોતાની અંદર આંતરિક શક્તિનો અનુભવ કરે છે. ખરી રીતે તો પુસ્તકો આપણા સાચા માર્ગદર્શક છે, પુસ્તકો આપણા સાચા મિત્રો છે. તે આપણને નવા નવા ક્ષેત્રો અને રહસ્યોનું જ્ઞાન તો કરાવે જ છે. પણ સાથે સાથે ચિંતન અને મનન કરવા માટે પણ ફરજ પાડે છે. પુસ્તકો મનુષ્યના સંકટોનો નાશ કરી તેના મનમાં દ્રઢતા જગવે છે. પુસ્તકો એવા માર્ગદર્શકની ગરજ સારે છે. જે ન તો મનુષ્યને દંડ આપે કે ન તો એ ક્રોધિત થાય અને પાછું બદલામાં આપણી પાસે કશું માંગે પણ નહીં એટલું જ નહીં સાથે પોતાના અમરત્વવનો સાર દેવામાં પણ તે ક્યારેય નિષ્ફળ જતા  નથી.

મનુષ્યને સાચું સુખ અને શાંતિ પ્રદાન કરે છે. પુસ્તકપ્રેમી સૌથી વધુ સુખી હોય છે. તે જીવનમાં ક્યારેય એકલતાનો અનુભવ કરતો નથી. પુસ્તકો પર સંપૂર્ણ ભરોસો કરી શકાય છે. એટલે જ મહાત્મા ગાંધીએ કહ્યું છે, :”સારાં પુસ્તકો આપણી પાસે હોય તો તે પરોપકારી મિત્રની ગરજ સારે છે. હું પુસ્તકોનો જેટલો અભ્યાસ કરું છું એટલાં જ તે મને મિત્રરૂપ બનીને મદદ કરે છે.”

Must Read : સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે નિબંધ

જેવી રીતે યુદ્ઘ માં બંદુક, મિશાઇલ વિગેરે અસ્ત્ર-શસ્ત્ર છે. તે જ રીતે વિચારદ્વંદ્વમાં પુસ્તકો જ શસ્ત્રો છે. સમાજની કાયાપલટ કરવામાં પુસ્તકો સમર્થ છે. આજની દુનિયા વિચારો ની દુનિયા છે. સમાજમાં જ્યારે પણ કોઈ પરિવર્તન આવે છે અથવા ક્રાંતિ થાય છે, તેના મૂળમાં હંમેશા કોઈને કોઈ વિચારધારા હોય છે. શ્રેષ્ઠ પુસ્તકો સમાજમાં નવચેતનાનો સંચાર કરે છે. અને સમાજમાં જાગૃતિ લાવવામાં પોતાની મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પુસ્તક વાંચવાથી મનુષ્યનો દ્રષ્ટિકોણ વ્યાપક બને છે અને સંકુલ વિચારો એના ચિત્તમાં પ્રવેશે છે.

પુસ્તકો એવો શાશ્વત ખજાનો છે જે પાછલી પેઢીના અનુભવો યોગ્ય રીતે નવી પેઢી સુધી પહોંચાડે છે. તેના નિહિત જ્ઞાનને નષ્ટ કરવાની તાકાત કોઈમાં નથી. ટૂંકમાં પુસ્તકોનું મહત્વ અતુલ્ય છે, એટલે જ તો પુસ્તકો આપણા સાચા મિત્રો છે.

પુસ્તક વિશે સુવિચાર :- 

  • ઉત્તમ પુસ્તકો જાગૃત દેવતા છે.
  • પુસ્તકો આપણા સાચા મિત્રો છે.
પુસ્તકો આપણા સાચા મિત્રો
     પુસ્તકો આપણા સાચા મિત્રો
  • સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે.
  • પુસ્તકપ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે.
  • વિચારોના યુધ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે.
  • પુસ્તક જ્ઞાનની પરબ છે

પુસ્તકો વિશે મહાન વ્યકિતઓના કથનો:- 

  1. “પુસ્તકોમાં આત્માનું જીવન રકત છે, કેમ કે, એમાં જીવનનો વિચાર સાર રહેલો છે”- મિલ્ટન
  2. “પુસ્તકોમાં આત્મા હોય છે. સંદગ્રંથોને કદી નાશ થતો નથી”- લિટન
  3. “ગ્રંથ વગરનું ઘર આત્મા વગરના શરીર જેવું છે.” – સિસરો
  4. જીવીશ, બની શકે તો એકલાં પુસ્તકોથી. – કલાપી.
  5. આંખો સામે રહેતી વસ્તુઓ નાં જ્ઞાન માટે પણ પુસ્તકો વાંચવા પડે છે.- રવીન્દ્રનાથ ટાગોર
  6. કસરત થી જે લાભ શરીર ને મળે છે તેજ લાભ પુસ્તક નાં વાંચન થી મગજ ને મળે છે.- એડિસન
  7. પ્રગતિ વિના સંસ્કૃતિ નહીં, વિચારો વિના પ્રગતિ નહીં, પુસ્તકો વિના વિચારો નહીં, પુસ્તક મારફતે જ માણસ બીજાના કોઈપણઅનુભવને પોતાનો કરી શકે છે, પોતાની પસંદગીના યુગમાં જીવી શકે છે. એક જિંદગીમાં અનેક અવતારો જીવી શકે છે. – નોર્મન કઝીન્સ.

આ ૫ણ વાંચો:- 

હુ આશા રાખુ છું કે તમને અમારો પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ (pustako ni maitri nibandh in gujarati) આ લેખ ખુબ જ ગમ્યો હશે. આ લેખ ખાસ કરીને વિઘાર્થીમિત્રોને પુસ્તકો આપણા મિત્રો, જીવનમાં પુસ્તક નું મહત્વ નિબંધ (pustak nu mahatva in gujarati) અથવા તો પુસ્તકોની મૈત્રી વિશે નિબંઘ લેખન માટે ખુબ જ ઉ૫યોગી નિવડશે. આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

2 thoughts on “પુસ્તકો આપણા સાચા મિત્રો નિબંધ | Pustako ni Maitri Nibandh in Gujarati”

  1. બહુ સરસ નિબંધ… આભાર..‌.ખૂબ ઉપયોગી થયો અને નવું જાણવા પણ મળ્યું.

Leave a Comment