ચાલો, આજે મળીએ ક્રાંતિવીરોનાં મુકુટમણી તરીકે ઓળખાતા સરદારસિંહ રાણાને કે જેમણે વિદેશની ધરતી પર રહીને પણ દેશને આઝાદી અપાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
સરદારસિંહ રાણાનું જીવનચરિત્ર (Sardar Singh Rana in Gujarati)
નામ | સરદારસિંહ રાણા |
જન્મ તારીખ | 11 એપ્રિલ 1870 |
જન્મ સ્થળ | સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાનું કંથારિયા ગામ |
શિક્ષણ | બેરીસ્ટર |
વ્યવસાય (કાર્ય) | ક્રાંતિકારી, વકીલ, ૫ત્રકાર, લેખક |
ઘર્મ | હિન્દુ |
પિતાનું નામ | રવાજી રાણા |
માતા નું નામ | ફૂલજીબા |
૫ત્નીનું નામ | સોનબા અને જર્મન સ્ત્રી રેસી |
પુત્રોના નામ | રણજીતસિંહ અને નટવરસિંહ |
મુત્યુ તારીખ | 25 મે 1957 |
મુત્યુ સ્થળ | વેરાવળ સરકીટ હાઉસમાં (ગુજરાત) |
વેબસાઇટ | sardarsinhrana |
સરદારસિંહ રાણાનો જન્મ 11 એપ્રિલ 1870નાં રોજ, હિંદુતિથી મુજબ રામનવમીનાં દિવસે સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના કંથારિયા ગામે થયો હતો. તેમનાં પિતાનું નામ રવાજી રાણા અને માતાનું નામ ફૂલજીબા હતું.
તેમણે બે લગ્ન કર્યા હતા. તેમનાં ભારતીય પત્ની ભીંગડા ગામનાં સોનબા હતાં અને તેમનાં બે પુત્રોનાં નામ રણજીતસિંહ અને નટવરસિંહ હતા.
પેરિસમાં તેઓ રેસી નામની એક જર્મન સ્ત્રી સાથે રહેતા હતા, જેમની સાથે તેમણે લગ્ન નહોતા કર્યા. ઈ. સ. ૧૯૦૪માં તેમની પ્રથમ પત્નીએ મંજુરી આપ્યા બાદ તેમણે રેસી સાથે લગ્ન કર્યા હતા. તેમના બંને પુત્રો તેમની સાથે રહેવા માટે પેરિસ ગયા. ફ્રેંચ સરકાર દ્વારા ઈ. સ. ૧૯૧૧માં તેમના પુત્ર રણજીતસિંહ અને તેમની જર્મન પત્ની સાથે તેમને માર્ટિનિકમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા.
તેમણે પ્રાથમિક શિક્ષણ કંથારિયાની ધૂળી સ્કૂલમાં અને ધ્રાંગધ્રાની સ્કૂલમાં મેળવ્યું હતું. વધુ અભ્યાસ માટે તેઓ રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલમાં દાખલ થયા, જ્યાં મહાત્મા ગાંધી તેમનાં સહાધ્યાયી હતા. ગાંધીજી રાણાને વ્હાલથી ‘સદુભા’ કહેતા હતા. બંને ખૂબ જ સારા મિત્રો હતા.
ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈ અને પુના ગયા. પુનાની ફરગ્યુસન કૉલેજમાં ભણતા ભણતા જ એમનાં જીવનમાં મોટો વળાંક આવ્યો. 1895માં પૂનામાં યોજાયેલા ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ અધિવેશનમાં ભાગ લીધો ત્યારે તેમની મુલાકાત લોકમાન્ય તિલક અને સુરેન્દ્રનાથ બેનર્જી સાથે થઈ. અહીંથી તેમનામાં ક્રાંતિકારી બનવાના બીજ રોપાયા.
ત્યારબાદ લંડન જઈ તેઓ બેરિસ્ટર બન્યા. લાઠીનાં એક રાજવી પરિવારે તેમને લંડન જવામાં મદદ કરી હતી. ત્યાં તેઓ શ્યામજીકૃષ્ણ વર્મા અને ભીખાઈજી કામાનાં સંપર્કમાં આવ્યા. લંડનમાં તેમણે ઈન્ડિયા હાઉસની સ્થાપના કરી. 1899માં તેઓ પેરિસ ગયા. પેરિસનાં વિશ્વ પ્રદર્શનમાં ખંભાતના ઝવેરી ઝવેરચંદ ઉત્તમચંદનાં અનુવાદક બન્યા હતા. તેઓ મોતીના ઝવેરાતમાં નિષ્ણાત બન્યાં અને તેનો વ્યવસાય શરુ કર્યો.
ઈ. સ. 1905માં રાણા હોમરૂલ સોસાયટીના સ્થાપક સભ્ય બન્યા. ત્યારબાદ તેમણે ભીખાઈજી કામા અને મૂંચેરશાહ ગોદરેજ સાથે મળીને પેરિસ ઈન્ડિયન સોસાયટીની સ્થાપના કરી. ઈ. સ. 1920માં તેઓ ફ્રાન્સ પાછા ગયા. 1931માં તેમની જર્મન પત્નીનું કેન્સરથી મૃત્યુ થયું. ઈ. સ. 1914માં તેમનાં પુત્ર રણજીતસિંહનું મૃત્યુ થયું હતું. ઈ. સ. 1947માં તેમનાં પુત્રના અસ્થિ વિસર્જન માટે તેઓ હરિદ્વાર આવ્યા હતા અને 23 એપ્રિલ, 1948નાં રોજ તેઓ પાછા ફર્યા.
ભારતના રાષ્ટ્રધ્વજની સૌથી પહેલી ડિઝાઈન રાણાજી અને મેડમ કામાજી એ જ બનાવી હતી. કરનલ વાઈલીની હત્યા કરવા માટે મદનલાલ ધીંગરાએ જે પિસ્તોલ વાપરી હતી તે સરદારસિંહ રાણાજીની જ હતી. ઈ. સ. 1905માં બ્રિટિશ સરકારે તેમનાં ભારત પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો.
મદનમોહન માલવિયાજી, બનારસ હિંદુ યુનિવર્સીટી સ્થાપવા માટે ફાળો લેવા પેરિસ ગયા હતાં. ત્યાંના ભારતીયોએ માલવિયાજીને 28 લાખ રૂપિયા આપ્યાં હતાં, જેમાં 5 લાખ રૂપિયા માત્ર રાણાજીએ જ આપ્યાં હતાં.
ભારત આઝાદ થયા પછી ઈ. સ. 1947માં એક ખાસ પ્લેન તેમને ભારત પાછા લાવવા માટે પેરિસ મોકલવામાં આવ્યું હતું. ફ્રાન્સની સરકારે ત્યાંના સર્વોચ્ચ એવોર્ડ ‘ચેવેલિયર’ થી તેમનું સન્માન કર્યું હતું. વીર સાવરકરનો કેસ પણ આંતર રાષ્ટ્રીય સ્તરે સરદારસિંહ જ લડ્યા હતા.
ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને બાદશાહ અકબરનાં નામ પર ત્રણ શિષ્યવૃત્તિ ચાલુ કરી હતી. વીર સાવરકર પણ આમાંના જ એક વિદ્યાર્થી હતા. સ્વતંત્રતા બાદ ભારતની પ્રથમ સંસદના 60 સાંસદો આ શિષ્યવૃત્તિ થકી વિદેશમાં ભણ્યા હતા.
ઈ. સ. 1955માં તેમની તબિયત બગડતા તેઓ પોતાનો ધંધો બંધ કરી ભારત પાછા ફર્યા. ત્યારબાદ તેમને લકવાનો હુમલો થયો હતો. 25 મે 1957નાં રોજ વેરાવળનાં સરકીટ હાઉસમાં તેમનું મૃત્યુ થયું.
સરદારસિંહ રાણાના પ્રપૌત્ર અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ સરદારસિંહના જીવન પર આધારિત વેબસાઈટ તૈયાર કરી છે. જેનું ઉદ્ઘાટન સંઘ પ્રમુખ શ્રી મોહન ભાગવત દ્વારા 2018માં કરવામાં આવ્યું હતું. રાજેન્દ્રસિંહ રાણા ઈ.સ. 1996થી ઈ. સ. 2014 સુધી ભાવનગરમાં સાંસદ સભ્ય હતા.
ડૉક્ટર શરદ ઠાકરનું પુસ્તક ‘સિંહપુરુષ’, શ્રી વિષ્ણુ પંડ્યાનું પુસ્તક ‘ઉત્તીષ્ઠ ગુજરાત’, અને સ્વામી સચ્ચિદાનંદનાં પુસ્તક ‘શહીદોની ક્રાંતિગાથાઓ’માં પણ સરદારસિંહ રાણાની ચર્ચા કરવામાં આવી છે.
લેખક:- શ્રીમતી સ્નેહલ જાની, શિક્ષક, વી. એન. ગોધાણી ઈંગ્લીશ સ્કૂલ, કતારગામ, સુરત 4
આ ૫ણ વાંચો:-
- ગાંધીજીના જીવન પ્રસંગો
- લાલા લાજપતરાય નું જીવનચરિત્ર
- સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ
- ભગતસિંહ નું જીવન ચરિત્ર
- સરદાર વલ્લભભાઇ ૫ટેલ નું જીવનચરિત્ર
હુ આશા રાખુ છુ કે તમને અમારો સરદારસિંહ રાણા નું જીવનચરિત્ર (sardarsinh rana history in gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યકિતઓના જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.
ખૂબ જ સુંદર જીવનચરિત્ર આલેખન.
Well done
Keep it up 🤗
ખૂબ સરસ માહિતી