પ્રવાસનું મહત્વ નિબંધ | Pravas nu mahatva essay in Gujarati (PDF)

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

આજનો આ૫ણો વિષય પ્રવાસ વિશેનો છે. પ્રવાસ એટલે શું, પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન, પ્રવાસનું મહત્વ નિબંધ ( pravas nu mahatva essay in gujarati) વિષયને આ૫ણે નિબંધ લેખન સ્વરૂપે સમજવાનો પ્રયત્ન કરીએ.

પ્રવાસનું મહત્વ નિબંધ ( Pravas nu mahatva essay in Gujarati)

પ્રસ્તાવના :

સૈર કર દુનિયાકી ગાફિલ, જિંદગાની ફિર કહાં.
જિંદગાની અગર રહી તો , નૌજવાની ફિર કહાં .

પ્રખ્યાત ઉર્દૂ શાયરની આ પંક્તિઓ આ૫ણેને પ્રવાસનું મહત્વ સમજાવી જાય છે. જન્મથી લઈને મૃત્યુ સુધી ચાલતા એકધારા જીવનમાં ઉત્સવો , પ્રસંગો , મેળાઓ અને પર્યટન જેમ આનંદમય અને યાદગાર બનાવે છે. માનવજીવનમાં હંમેશા પ્રવાસનું આગવું સ્થાન રહ્યું છે પછી તે આદિમાનવનો સમય હોય કે અત્યારનો ટેક્નોલોજીનો સમય હોય. જીવનના દરેક તબક્કે પ્રવાસનું અલગ મહત્વ હોય છે. 

સંકલ્પના :

પ્રવાસ શબ્દ સાંભળતાં જ અલગ -અલગ કેટલાંય ચિત્રો મનમાં ઉપસી આવે , મન નાચી ઊઠે અને પગ ઉતાવળા થઈ જાય . એટલો વિશાળ શબ્દ કે જેનો અર્થ ટુંકમાં સમજાવવો મુશ્કેલ લાગે , તેમ છતાં જો પ્રવાસનો અર્થ કહેવો હોય તો પ્રવાસ એટલે સ્થળે સ્થળે ફરવું.  પ્રવાસને દેશાટન પણ કહે છે. જેમાં દેશનો અર્થ થાય છે સ્થાન અને અટનનો અર્થ થાય છે ફરવું. પરંતુ પ્રવાસ એટલે માત્ર ફરવું એટલો સીમિત અર્થ ના કરી શકાય. કોઈપણ સ્થળને જાણવું , માણવું અને થોડા સમય માટે એને મનભરીને જીવી લેવું એનું નામ પ્રવાસ.

પ્રવાસનું મહત્વ

પૃથ્વી પરના દરેક ભૂમિભાગો પ્રાકૃતિક દૃષ્ટિએ એકબીજાથી અલગ પડે છે. દરેક પ્રદેશના લોકજીવન , રહેણીકરણી , સજીવસૃષ્ટિ અને વનસ્પતિઓમાં વૈવિધ્ય જોવા મળે છે. કોઈક વિસ્તારમાં ઊંચા પર્વતો તો વળી કોઈ વિસ્તારમાં વેરાન રણ કે સપાટ મેદાની પ્રદેશો જોવા મળે છે. ક્યાંક હિમાચ્છાદિત શિખરો તો ક્યાંક ખળખળ વહેતી નદીઓ જોવા મળે છે . દરેક વિસ્તારના લોકો અને પ્રાણીઓમાં પણ વિવિધતા જોવા મળે છે. આ વિવિધતાઓ લોકોને અલગ અલગ સ્થળોના પ્રવાસ માટે આકર્ષે છે.

પ્રાચીનકાળમાં પ્રવાસ :

આદિમાનવના સમયથી  માનવજીવનમાં પ્રવાસનું આગવું સ્થાન રહ્યું છે . આદિમાનવ ભટકતું જીવન ગાળતા અને ખોરાકની શોધમાં એક  જંગલથી બીજા જંગલનો પ્રવાસ કરતા. મુસાફરીના સાધનોના અભાવે તેઓ શરૂઆતના તબક્કે ભટકતું જીવન ગાળતા હતા .સુવિધાઓના અભાવે મુસાફરીના માર્ગમાં અનેક અડચણો આવતી જેના ડરથી તેઓ હંમેશા ટોળાંમાં જ મુસાફરી કરવા નીકળતા. ખૂબ ટુંકી મુસાફરીમાં  પણ લાંબો સમય વહી જતો. ત્યારબાદ ધીમે ધીમે  તેઓ ઘોડા , ઊંટ જેવા પ્રાણીઓની મદદથી મુસાફરી કરતા થયા હશે. તેમના પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ભોજનની  શોધ જ હતો , પરંતુ સતત પ્રવાસના લીધે તેઓ ઘણા વિસ્તારોમાં પ્રાણીઓ અને વનસ્પતિઓની વિશેષતાઓથી પરિચિત હતા. તેમનું પ્રવાસી જીવન જ તેમને નદીકિનારે સ્થાયી જીવન સુધી દોરી લાવ્યું હતું. આમ , જોવા જઈએ તો સ્થાયી જીવનની શરૂઆત માટે પણ એમનું પ્રવાસી જીવન જ મદદરૂપ સાબિત થયું ગણાય.

Must Read : સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે નિબંધ

જીવનમાં પ્રવાસનું  મહત્વ :

સતત એકધારા જીવનથી માણસ થાકી જાય છે . પૈસા અને સુવિધાઓ પાછળ આંધળી દોડ જીવનને નીરસ બનાવી દે છે. આધુનિક સમયમાં જીવન ખુબજ ભાગ – દોડ વાળું બની ગયું છે. આવા નીરસ જીવનને જીવંત અને ખુશનુમા બનાવવા પ્રવાસ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. વ્યક્તિ જ્યારે પ્રવાસ માટે જાય છે ત્યારે તે ત્યાંની નવી નવી વસ્તુઓ , સ્થાનો , ભવ્ય બાંધકામ , નદીઓ , પર્વતો , ઝરણાં , વૃક્ષો વગેરે જુએ છે. સુંદર શહેરો , બગીચાઓ , પ્રાકૃતિક સૌંદર્ય અને પર્વતીય સ્થળો એના મનને આનંદ આપે છે. એનાથી વ્યક્તિનું મનોરંજન થાય છે , જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા કારક સાબિત થાય છે. ઉનાળામાં અસહ્ય ગરમીથી બચવા ઊંચાંણવાળા પર્વતીય સ્થળોએ ફરવા જાય છે . વિવિધ સ્થળોની મુસાફરી થી ત્યાંનું લોકજીવન , રહેણીકરણી , પહેરવેશ વગેરે વિશે જાણે છે. જેનાથી ભાઈચારાની ભાવના જાગે છે.

જીવનના દરેક તબક્કે પ્રવાસનું આગવું મહત્વ રહેલું હોય છે. વિદ્યાર્થી જીવનમાં  નવું નવું જાણવાની જિજ્ઞાસા હોય છે. કોઈપણ ઐતિહાસિક સ્થળો અને પ્રાકૃતિક સ્થળો વિશે માત્ર પુસ્તકોમાંથી વાંચીને જાણવા કરતાં  ઐતિહાસિક અને પ્રાકૃતિક મહત્વ ધરાવતાં સ્થળોના પ્રત્યક્ષ પ્રવાસથી ઘણું વિશેષ જાણવા મળે છે. કોઈપણ સ્થળની ભૌગોલિક પરિસ્થિતિ , ત્યાંનું લોકજીવન , પ્રાકૃતિક વિશેષતાઓ વગેરે વિશે ઘણું બધું જાણી શકાય છે. વાંચેલું ભૂલી જવાય છે પણ પત્યક્ષ જોયેલું હંમેશા યાદગાર બની રહે છે . પ્રાકૃતિક મહત્વ ધરાવતાં જંગલો , ઉદ્યાનો , જળાશયો , નદીકિનારાના સ્થળો , પ્રાણી સંગ્રહાલયો વગેરે સ્થળોના પ્રવાસથી બાળકો પ્રકૃતિથી પરિચિત થાય છે. તેમની જિજ્ઞાસા સંતોષાય છે. તેમનામાં પ્રકૃતિપ્રેમ અને પર્યાવરણનું જતન કરવાના ગુણો વિકસે છે. 

Must Read : પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ નિબંધ

યુવાનીમાં મિત્રો સાથે ફરવાની અને જીવનની એ પળોને યાદગાર બનાવવાની અલગ જ મજા હોય છે. મુક્તપણે ફરવાની અને જીવનનો ભરપૂર આનંદ માણવાની મજા મિત્રો સાથેના પ્રવાસમાં જ મળે છે. આજના સમયમાં મુસાફરી માટેની સુવિધાઓ ના લીધે ખૂબ ઓછા સમયમાં દૂરના પ્રવાસન સ્થળો સુધી પહોંચી શકાય છે. પ્રવાસન સ્થળોએ વિવિધ રાઇડ્સ અને મનોરંજનના સાધનો પ્રવાસનો આનંદ અનેકગણો કરી દે છે .

પ્રવાસનું મહત્વ નિબંધ

આજકાલ સાહસિક પ્રવાસીઓ પોતાના જીવનના જોખમે પણ પ્રાકૃતિક દૃષ્ટિએ અલગ જ વિશેષતા ધરાવતા સ્થળોનો પ્રવાસ કરતા થયા છે. હિમાલયના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને પણ સર કરી ચૂક્યા છે. 

આજકાલ ઝડપી મુસાફરીની સુવિધાના લીધે લોકો ખૂબ લાંબા અંતરના પ્રવાસ કરતા થયા છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસને પ્રોત્સાહન મળી રહ્યું છે. જેને લીધે લોકો વિશ્વના દેશોના જીવન ,  રીત રિવાજો , પર્યાવરણ , ઐતિહાસિક સ્થળો વગેરે વિશે જાણતા થયા છે.  આંતરરાષ્ટ્રીય પ્રવાસના લીધે દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો થઈ રહ્યો છે. “વસુધૈવ કુટુમ્બકમ ” ની ભાવનાનો  વિકાસ થયો છે. 

Must Read : જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ

ઉપસંહાર :

ખરેખર આજના ભાગદોડ અને તણાવયુક્ત જીવનમાં પ્રવાસનું  મહત્વ અનેક ગણું વઘી ગયુ છે.  પ્રવાસ પર્યટન થકી જ લોકોમાં સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ , પ્રકૃતિપ્રેમ અને ભાઈચારાની ભાવના જન્મે છે . આમ પ્રવાસથી વ્યક્તિની સાથે સાથે સમાજને અને દેશને પણ ખૂબ જ ફાયદો થાય છે આથી દરેક દેશોમાં પ્રવાસનું મહત્વ ખૂબ જ વધી રહ્યું છે. ભારત સરકાર દ્વારા  પ્રવાસન સ્થળોના વિકાસ અને પર્યટકોની સુવિધા માટે પ્રવાસન વિભાગ સતત પ્રયત્નશીલ રહે છે.

લેખક:- જગદીશ જેપુ, શિક્ષક, ઘનાણા પ્રાથમિક શાળા Instagram ID – jagdish.jepu.33

આ ૫ણ વાંચો:-

  1. જીવનમાં શિસ્તનું મહત્વ નિબંધ
  2. માતૃભાષા નું મહત્વ નિબંધ 
  3. પર્યાવરણ નું મહત્વ નિબંધ
  4. શ્રમનું મહત્વ નિબંધ
  5. સમયનું મહત્વ નિબંધ 

હુ આશા રાખુ છું કે તમને અમારો પ્રવાસનું મહત્વ નિબંધ (pravas nu mahatva essay in gujarati)  લેખ ખુબ જ ગમ્યો હશે.  આવા અનેક ગુજરાતી નિબંધ અમે અમારા બ્લોગ ૫ર મુકેલ છે તે વાંચવાનું ચુકતા નહી. જો તમને ખરેખર આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી પ્રકાસિત કરવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે. 

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment