મધર ટેરેસા વિશે નિબંધ, જીવનચરિત્ર, ઇતિહાસ, સુત્રો, માહિતી (Mother Teresa in Gujarati- Essay, Wiki, Biography,  Information)

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

એવું માનવામાં આવે છે કે વિશ્વના લગભગ તમામ લોકો ફક્ત પોતાના માટે જ જીવે છે, અને વ્યક્તિના દરેક કાર્ય પાછળ પોતાનો સ્વાર્થ છુપાયેલો હોય છે. પરંતુ માનવ ઇતિહાસમાં એવા ૫ણ ઘણા લોકોના ઉદાહરણો છે જેમણે પોતાનું જીવન ૫રો૫કાર અને અન્ય લોકોની સેવા માટે સમર્પિત કર્યું છે. મધર ટેરેસા આવા મહાન લોકોમાંની એક છે જેણે પોતાનું સમગ્ર જીવન ગરીબો અને જરૂરિયાતમંદ લોકોની સેવામાં ન્યોછાવર કરી દીધુ હતુ.  

મધર ટેરેસા પરિચય (Mother Teresa Information in Gujarati)

પ્રસિધ્ધ નામઃમધર ટેરેસા
અસલી નામ‘એગ્નેસ ગોંઝા બોજાક્ષિયુ’
જન્મ તારીખ26 ઓગસ્ટ 1910
જન્મ સ્થળસ્કોપજે (હવે મેસેડોનિયામાં) માં
પિતાનું નામનિકોલા બોયજુ
માતાનું નામદ્રાણા બોયજુ
ધર્મકેથોલિક
પ્રસિધ્ધી (ખ્યાતિ)સામાજિક કાર્યકર અને સેવક
કાર્યોમિશનરીઝ ઑફ ચેરિટીની સ્થાપના
મૃત્યુ5 સપ્ટેમ્બર 1997, કલકતા, ભારત

મધર ટેરેસા એક એવું નામ છે કે જેને યાદ કરતાની સાથે જ આપણું હૃદય તેમના પ્રત્યે ના આદર અને સન્માનથી ઉભરાઈ જાય છે. મધર ટેરેસા એવી મહાન આત્મા હતી, જેનું હૃદય વિશ્વના તમામ દીન-દરીદ્ર, બીમાર, લાચાર અને ગરીબ લોકો માટે હંમેશા ધબકતું હતુ અને આ કારણોસર તેમણે તેમનું આખું જીવન તેમની સેવા અને ભલાઇમાં સમર્પિત કરી દીધું. 

મધર ટેરેસાનું અસલી નામ ‘એગ્નેસ ગોંઝા બોજાક્ષિયુ’ (Agnes Gonxha Bojaxhiu) હતું. અલ્બેનિયન ભાષામાં ગોન્ઝાનો અર્થ ફૂલની કળી એવો થાય છે. તેમાં કોઈ શંકા નથી કે મધર ટેરેસા એક એવી કળી હતી જેણે નાની ઉંમરે ગરીબ, અસહાય અને લાચાર લોકોના જીવનમાં પ્રેમની સુગંધ ભરી હતી. તો ચાલો આજે આ૫ણે મધર ટેરેસાના જીવન તથા કાર્યો વિશે વિગતવાર માહિતી મેળવીએ. આ માહિતી વિદ્યાર્થી મિત્રોને મધર ટેરેસા વિશે નિબંધ (Mother Teresa Essay in Gujarati) લેખન માટે ૫ણ ઉ૫યોગી બનશે.

પ્રારંભિક જીવન (Mother Teresa Early Life in Gujarati:-

મધર ટેરેસાનો જન્મ 26 ઓગસ્ટ 1910 ના રોજ સ્કોપજે (હવે મેસેડોનિયામાં) માં થયો હતો. તેના પિતા નિકોલા બોયજુ એક સામાન્ય ઉદ્યોગપતિ હતા. મધર ટેરેસાનું અસલી નામ ‘એગ્નેસ ગોંઝા બોજાક્ષિયુ’ હતું. ગોન્ઝા એટલે અલ્બેનિયન ભાષામાં ફૂલની કળી. જ્યારે તે માત્ર આઠ વર્ષની હતી, ત્યારે તેના પિતાનું અવસાન થયુ, ત્યારબાદ તેના ઉછેરની તમામ જવાબદારી તેની માતા દ્રાણા બોયજુ પર પડી. તે પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાની હતી. તેના જન્મ સમયે, તેમની મોટી બહેન 7 વર્ષની હતી અને તેનો ભાઈ 2 વર્ષનો હતો, બાકીના બે બાળકોનું બાળપણમાં જ નિધન થયું હતું. તે એક ખૂબ જ સુંદર, અભ્યાસુ અને મહેનતુ છોકરી હતી. 

અભ્યાસની સાથે સાથે તેને ગીતો ગાવાનો ખુબ જ શોખ હતો. તે અને તેની બહેન નજીકના ચર્ચમાં મુખ્ય ગાયીકા તરીકે હતી. એવું માનવામાં આવે છે કે જ્યારે તે માત્ર બાર વર્ષની હતી, ત્યારે જ તેણીએ નક્કી કરી દીધુ હતુ કે તે પોતાનું  આખું જીવન માનવ સેવામાં વિતાવશે અને 18 વર્ષની ઉંમરે, તેણીએ ‘સિસ્ટર્સ ઓફ લોરેટો’માં જોડાવાનું નક્કી કર્યું. તે પછી તે આયર્લેન્ડ ગઈ જ્યાં તેણે અંગ્રેજી ભાષાનું શિક્ષણ મેળવ્યું. અંગ્રેજી શીખવું તેમના માટે ખૂબ જ જરૂરી હતું કારણ કે લોરેટો ની સિસ્ટર્સ અંગ્રેજી માધ્યમમાં જ ભારતમાં બાળકોને ભણાવતી હતી.

ભારતમાં આગમન (Arrival in India):- 

સિસ્ટર ટેરેસા 6 જાન્યુઆરી 1929 ના રોજ આયર્લેન્ડથી કોલકાતામાં ‘લોરેટો કોન્વેન્ટ’ આવી હતી. તે શિસ્તબદ્ધ શિક્ષક હતી અને વિદ્યાર્થીઓ તમને ખૂબ પ્રેમ કરતા હતા. 1944 માં તે મુખ્ય શિક્ષિકા બની. તેનું મન શિક્ષણમાં સંપૂર્ણ રીતે મગ્ન હતું, પરંતુ તેની આસપાસ રહેલી ગરીબી અને લાચારીએ તેના મનમાં ભારે ખલેલ પહોંચાડી. 1943 ના દુષ્કાળ દરમિયાન, શહેરમાં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા હતા અને લોકો ગરીબીમાં બેહાલ થઈ ગયા હતા. 1946 ના હિન્દુ-મુસ્લિમ રમખાણોએ કોલકાતા શહેરની પરિસ્થિતિને વધુ ભયાનક બનાવી દીધી હતી.

મિશનરીઓ ઓફ ચેરિટી :- 

10 સપ્ટેમ્બર 1946 ના રોજ, મધર ટેરેસાને એક નવો અનુભવ થયો, જેના પછી તેનું જીવન બદલાઈ ગયું. મધર ટેરેસાના જણાવ્યા પ્રમાણે – આ દિવસે તે કલકત્તાથી દાર્જિલિંગ જઈ રહી હતી, ત્યારે ઈસુએ તેની સાથે વાત કરી અને કહ્યું કે અધ્યાપન છોડી દો અને કલકત્તાના ગરીબ, લાચાર, બિમાર લોકોની સેવા કરો. પરંતુ ત્યારે મધર ટેરેસાએ આજ્ઞાકારીતાનું વ્રત લીધેલુ હતું, જેથી તે સરકારની મંજૂરી વિના કોન્વેન્ટ છોડી શકતી ન હતી. જાન્યુઆરી 1948 માં તેને પરવાનગી મળી, ત્યારબાદ તેણે શાળા છોડી દીધી.

આ પછી, મધર ટેરેસાએ સફેદ રંગની વાદળી પટ્ટાવાળી સાડી અપનાવી, અને આખી જીંદગી એ જ ૫હેરવેશમાં જોવા મળી. તેણીએ બિહારના પટનાથી નર્સિંગની તાલીમ લીધી, અને કલકત્તા પાછી આવી અને ગરીબ લોકોની સેવામાં રોકાઇ. ત્યાં તે ગરીબ વૃદ્ધોની સંભાળ રાખતી સંસ્થામાં રહી.  તેણીએ દર્દીઓનાં ઘા ધોયા, મલમ લગાવ્યું અને દવાઓ આ૫વાનું કામ કર્યુ. 

મધર ટેરેસાએ અનાથ બાળકો માટે આશ્રમ બનાવ્યો, અન્ય ચર્ચો પણ તેમની મદદ માટે વ્હારે આવ્યા. આ કામ કરતી વખતે તેમને ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. કામ છોડવાને કારણે તેમની પાસે કોઈ આર્થિક મદદ નહોતી, પેટ ભરવા માટે પણ તેમણે લોકોની સામે હાથ ફેલાવવા પડ્યા. પરંતુ મધર ટેરેસા આ બધી બાબતોથી ડરતી ન હતી, તેણીને તેમના ભગવાનમાં પૂરો વિશ્વાસ હતો, તેમને ખાતરી હતી કે જે ૫રમેશ્વરે તેને આ કાર્ય શરૂ કરવાનું કહ્યું છે તે પૂર્ણ ૫ણ કરશે.

7 ઓક્ટોબર 1950 ના રોજ, મધર ટેરેસાના અવિરત પ્રયત્નોને કારણે, તેમને મિશનરી ઓફ ચેરીટી બનાવવાની પરવાનગી મળી ગઈ. આ સંસ્થામાં સ્વયંસેવક સેન્ટ મેરી સ્કૂલના શિક્ષકો હતા, જે સેવાની ભાવના સાથે આ સંસ્થા સાથે સંકળાયેલા હતા. શરૂઆતમાં, ફક્ત 12 લોકો આ સંસ્થામાં કામ કરતા હતા, આજે અહીં 4000 થી વધુ નન (સાધ્વીઓ) કાર્યરત છે. આ સંસ્થા દ્વારા અનાથાલયો, નર્સિંગ હોમ્સ, વૃદ્ધાશ્રમો બનાવવામાં આવ્યા હતા. મિશનરી ઓફ ચેરિટીનો મુખ્ય હેતુ એવા લોકોની મદદ કરવાનો હતો કે જેમનું આ દુનિયામાં કોઈ નથી. તે સમયે, કલકત્તામાં પ્લેગ અને રક્તપિત્ત રોગ ખૂબ જ ફેલાયેલો હતો, મધર ટેરેસા અને તેની સંસ્થા આવા દર્દીઓની જાતે સેવા કરતા હતા, તેઓ દર્દીઓના ઘાને હાથથી સાફ કરતા હતા અને મલમ પાટો લગાવતા હતા.

કલકત્તામાં પણ તે સમયે અસ્પૃશ્યતા ફેલાઈ હતી, લાચાર ગરીબોને સમાજમાંથી બાકાત રાખવામાં આવતા હતા. આવા બધા લોકો માટે મધર ટેરેસા મસીહા બન્યા. તેમણે ગરીબ, ભૂખ્યા અને અસહાય લોકોને રાખ્યા અને તેમને ભોજન પુરૂ પાડ્યું. 1965 માં, મધર ટેરેસાએ તેમના મિશનરીને અન્ય દેશોમાં ફેલાવવા માટે રોમના પો૫ જ્હોન પોલ-6 પાસે પરવાનગી માંગી. ભારતની બહારની પ્રથમ મીશનરી ઓફ ચેરીટી સંસ્થા વેનેઝુએલામાં શરૂ થઈ હતી, આજે મીશનરી ઓફ ચેરીટીની સંસ્થા 100 થી વધુ દેશોમાં કાર્યરત છે. મધર ટેરેસાના કર્યો કોઈથી છુપાયેલી ન હતા. તેમનું નિસ્વાર્થ વલણ સ્વતંત્ર ભારતના તમામ મોટા નેતાઓએ નજીકથી જોયું હતું, તે બધાએ તેમની પ્રશંસા કરી હતી.

મધર ટેરેસા વિવાદ (Mother Teresa Controversy):- 

આવા સેવાભાવી કાર્ય છતાં, મધર ટેરેસાના જીવન અને કાર્યોને કેટલાક લોકોએ વિવાદોમાં ઘેરી લીધુ હતી. કહેવામાં આવે છે કે જ્યાં સફળતા હોય છે, ત્યાં વિવાદો પાછળ-પાછળ ફરે છે. કેટલાક લોકો મધર ટેરેસાની નિસ્વાર્થ ભાવની સેવાને ૫ણ અલગ નજરથી જોતા હતા. તેમનો આરોપ હતો કે તે ભારતના લોકોને ધર્મ રૂપાંતરિત કરવાના હેતુથી લોકોની સેવા કરે છે. તે લોકો તેમને ખ્રિસ્તી ધર્મના ઉપદેશક માનતા હતા. આ બધા વિવાદ વચ્ચે ૫ણ મધર ટેરેસાએ ફક્ત તેમના કામો પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું અને જીવનભર ગરીબ અને લાચાર લોકોની સેવા કરતા રહ્યા.

મધર ટેરેસાનું મૃત્યુ (Death of Mother Teresa):- 

તેમને ઘણા વર્ષોથી હૃદય અને કિડનીની તકલીફ હતી. તેમને 1983 માં રોમમાં પો૫ જોન પોલ II ની મુલાકાત દરમિયાન પ્રથમ હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ 1989 માં બીજો હાર્ટ એટેક આવ્યો. ખરાબ તબિયત હોવા છતાં મિશનરીના કાર્ય સાથે જોડાયેલા રહ્યા. ૫રંતુ 1997 માં તેમની તબિયત વઘુ બગડતી ગઈ જેથી તેમણે માર્ચ 1997 માં મીશનરી ઓફ ચેરીટીના હેડનું પદ છોડી દીધું, ત્યારબાદ સિસ્ટર મેરી નિર્મલા જોશી આ પદ માટે ચૂંટાયા. 5 સપ્ટેમ્બર 1997 ના રોજ કલકત્તામાં મધર ટેરેસા નું અવસાન થયું હતું.

મધર ટેરેસાને મળેલા એવોર્ડ્સ અને સિદ્ધિઓ (Awards and Achievements of Mother Teresa):

  • 1962 માં, ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
  • 1980 માં, તેમને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યો.
  • 1985 માં યુ.એસ. સરકાર દ્વારા ફ્રીડમ મેડલ એનાયત કરાયો હતો.
  • 1979 માં, તેમને ગરીબ અને બીમાર લોકોને મદદ કરવા માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો.

મધર ટેરેસાના અણમોલ વિચારો (Mother Teresa Quotes in Gujarati)

  1. હું ઇચ્છું છું કે તમે તમારા પાડોશીની ચિંતા કરો. શું તમે તમારા પાડોશીને જાણો છો?
  2. એકલતા એ સૌથી ભયંકર ગરીબી છે.
  3. પ્રેમ એ દરેક ઋતુનું ફળ છે, અને દરેક વ્યક્તિની પહોંચમાં હોય છે.
  4. સરળતા સાથે જીવો જેથી અન્ય લોકો પણ જીવી શકે.
  5. શિસ્ત એ લક્ષ્યો અને સિદ્ધિ વચ્ચેનો પુલ છે.
  6. સુંદર લોકો હંમેશાં સારા નથી હોતા. પરંતુ સારા લોકો હંમેશાં સુંદર હોય છે.
  7. દયા અને પ્રેમના શબ્દો ટૂંકા હોઈ શકે છે પરંતુ તેના પડઘા અન્નત હોય છે.
  8. કેટલાક લોકો તમારા જીવનમાં આશીર્વાદ સમાન હોય છે, કેટલાક લોકો શિક્ષા(સબક) સમાન હોય છે.

મધર ટેરેસા કોણ હતા?

મધર ટેરેસા એક રોમન કેથોલિક સાધ્વી હતા જેમણે 1948માં સ્વેચ્છાએ ભારતીય નાગરિકત્વ લીધું હતું. તેમણે 1950માં કોલકાતામાં મિશનરીઝ ઑફ ચેરિટીની સ્થાપના કરી. 45 વર્ષ સુધી, તેમણે ગરીબ, બીમાર, અને અનાથ લોકોને મદદ કરી અને મિશનરીઝ ઑફ ચેરિટીના પ્રસારનો માર્ગ પણ મોકળો કર્યો.

મધર ટેરેસા દેશનું નામ શું હતુ?

મધર ટેરેસાનો જન્મ 26 ઓગસ્ટ 1910 ના રોજ સ્કોપજે (હવે મેસેડોનિયામાં) માં થયો હતો

આ ૫ણ વાંચો:-

  1. ગાંધીજીના જીવન પ્રસંગો
  2. લાલા લાજપતરાય નું જીવનચરિત્ર 
  3. સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશ 
  4. ભગતસિંહ નું જીવન ચરિત્ર
  5. સરદાર વલ્લભભાઇ ૫ટેલ નું જીવનચરિત્ર

હુ આશા રાખુ છુ કે તમને અમારો મધર ટેરેસા વિશે નિબંધ, જીવનચરિત્ર, ઇતિહાસ, સુત્રો, માહિતી (Mother Teresa in Gujarati- Essay, Wiki, Biography,  Information) લેખ ખુબ જ ગમ્યો હશે.અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

1 thought on “મધર ટેરેસા વિશે નિબંધ, જીવનચરિત્ર, ઇતિહાસ, સુત્રો, માહિતી (Mother Teresa in Gujarati- Essay, Wiki, Biography,  Information)”

  1. ખરેખર અદ્ભુત મધર ટેરેસા નું સચોટ જીવન ચરિત્ર વાંચી, મન તરવર થયું, હાર્દિક ધન્યવાદ, આ વેબસાઈટ ને….હરેશ પંચાલ

Leave a Comment