માતૃભાષામાં શિક્ષણ નિબંધ ગુજરાતી | Matrubhasha ma Shikshan in Gujarati essay

WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

માતૃભાષા એટલે મા પાસેથી શિખેલી ભાષા. બાળક તેની મા પાસેથી જેટલુ શીખે છે તેટલુ બીજા કોઇ પાસેથી નથી શીખતુ. જેથી બાળકને પાયાનું જ્ઞાન માતૃભાષામાં શિક્ષણ દ્વારા પ્રાપ્ત થાય એ અનિવાર્ય છે. આ૫ણા ગુજરાતી સાહિત્યકાર શ્રી ગુણવંતભાઈ શાહે ખૂબ જ સાચું કહયુ છે, કે  ‘માતાના ધાવણ પછીના ક્રમે માતૃભાષા આવે છે. તો ચાલો આજે આ૫ણે માતૃભાષામાં શિક્ષણ વિષય ૫ર ગુજરાતી નિબંધ (Matrubhasha ma Shikshan in Gujarati essay) લેખન કરીએ.

માતૃભાષામાં શિક્ષણ નિબંધ (matrubhasha ma shikshan in gujarati essay)

ભલે બદલાતા રહે, મારા આ વેશભૂષા,
માં ના ધાવણ સમાન છે મારી માતૃભાષા…..
છે સૌના પ્રદેશ નિરાળા, છે સૌની દિવ્ય ભાષા,
હું છું ગુજરાતી, છે ગુજરાતી મારી ભાષા…..

ગુજરાતી ભાષા એ તો નરસિંહ મહેતા, અખો, ગંગાસતી, દલપતરામ, કલાપી અને ઉમાશંકર જોશી જેવા અનેક સાહિત્યકારોની જનની છે. ગુજરાતી સાહિત્ય જગતના આ એવા અવિસ્મરણીય નામ છે, જેને યાદ કર્યા વગર ગુજરાતી ભાષા વિષે કંઈપણ લખીએ તો તે અધૂરું જ ગણાય. આવા ઉમદા સાહિત્યકારો અને તેમની કૃતિઓને વર્ષોવર્ષ ગુજરાતી સાહિત્ય યાદ રાખશે અને તેનું સન્માન કરશે.

હવે વાત કરીએ માતૃભાષાની, તો માતૃભાષા એટલે ખાલી ગુજરાતી ભાષા, એવું નહિ. કોઈપણ ભાષા, કે જે વ્યક્તિને પોતાની માતા તરફથી મળેલી હોય છે, તે દરેક ભાષા માતૃભાષા છે. જ્યારે બાળક જન્મે કે તરત જ કોઈ ભાષા શીખીને આવતું નથી. તે એકદમ કોરી સ્લેટ જેવું હોય છે. તેને તમે જે શીખવાડો તે શીખે છે. અને બાળક નાનું હોય ત્યારે તે મોટેભાગે પોતાની માં પાસે રહે છે, એટલે જ તેની પ્રથમ ભાષા તેને પોતાની માં જ શિખવાડે છે, અને તે એટલે જ તેની માતૃભાષા. જેમ વ્યક્તિત્વના ઘડતરમાં સંસ્કારોનું સિંચન કરવું જરૂરી છે, તેવી જ રીતે વ્યક્તિના સર્વાંગી વિકાસમાં ભાષાનું ઘડતર અને માતૃભાષા પરનું પ્રભુત્વ ખૂબ જ જરૂરી છે. 

Must Read : માતૃભાષા નું મહત્વ નિબંધ

 આ તો વાત થઈ માતૃભાષાની. હવે વાત કરીએ કે દરેક વ્યક્તિને પોતાની માતૃભાષા સિવાય બીજી કેટલી ભાષા આવડવી જોઈએ ? તો મુખ્યત્વે દરેક વ્યક્તિને ત્રણ ભાષા આવડવી ખૂબ જ જરૂરી છે. એક માતૃભાષા કે જે તેની પોતાની ભાષા છે, અને જેના દ્વારા તે પોતાની આસપાસ રહેલા લોકો તેમજ સમાજમાં રહેલા લોકો સાથે વાર્તાલાપ કરી શકે છે. બીજા પ્રકારની વાત કરીએ તો તે એટલે આપણી રાષ્ટ્રીય ભાષા. આપણી રાષ્ટ્રીય ભાષા “હિન્દી” છે. આ ભાષાનો ઉપયોગ આપણે આપણા દેશના બીજા રાજ્યમાં રહેતા લોકો સાથે વાર્તાલાપ કરવામાં કરીએ છીએ.

દરેક રાજ્યની પોતાની પ્રાદેશિક ભાષા હોય છે, પરંતુ આ બધી જ ભાષાઓને એક તાંતણે જોડતી ભાષા એટલે હિન્દી. હિન્દી ભાષા આપણને આવડવી ફરજિયાત નહીં પરંતુ ઉપયોગી છે, જેથી કરીને ક્યારેક આપણા જ દેશના કોઈ બીજા પ્રદેશમાં જઈએ તો વાત કરવામાં તકલીફ ના પડે. હવે ત્રીજી ભાષાની વાત કરીએ તો તે એટલે “આંતરરાષ્ટ્રીય ભાષા”. જે એક દેશના વ્યક્તિ બીજા દેશના વ્યક્તિ સાથે વાત કરવા માટે કરે છે. આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે ભારતમાં “અંગ્રેજી” ભાષાને સ્થાન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભાષા આવડવી જરૂરી છે, પરંતુ તેની ઘેલછા ક્યારેય માતૃભાષાના પતનને આધીન ન હોવી જોઈએ.

Must Read : જાણો શું છે વિશ્વ માતૃભાષા દિવસનો ઇતિહાસ

માતૃભાષામાં શિક્ષણ નિબંધ (matrubhasha ma shikshan in gujarati essay)

 હવે વાત કરીએ શિક્ષણમાં ભાષાના મહત્વની. તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, દરેક વ્યક્તિ જે ભણે છે, તે વિદેશ તો જવાની નથી. અને આપણી ભણતર પ્રણાલી એ મુજબની છે કે સ્નાતક સુધીના અભ્યાસમાં વ્યક્તિ અંગ્રેજી બોલતા, સમજતા તો શીખી જ જાય છે.

તો પ્રશ્ન એ થાય કે આજના સમયમાં દરેક ગુજરાતી પોતાની માતૃભાષા છોડીને અંગ્રેજી ભાષાને આટલું પ્રાધાન્ય કેમ આપે છે ? શું કડકડાટ અંગ્રેજી બોલતાં આવડતું હોય તો જ તમે ભણેલાં છો તેવું સાબિત થાય ? કે પછી કહેવાતા આપણાં ભાર વિનાના ભણતરમાં અંગ્રેજીનો ભાર હોવો જરૂરી છે ? આ પ્રશ્ન અત્યારે પોતાના છોકરાને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવાની ઈચ્છા રાખતા દરેક માતા પિતાને પૂછવો આવશ્યક છે.

ભણતર માટે સહુથી મહત્વની બાબત એ છે કે તમે જે પણ ભાષામાં છોકરાને ભણાવો, તે ભાષાનું પૂરતું જ્ઞાન છોકરાને આપવા પોતે સક્ષમ છો કે નહીં તે જાણવું જરૂરી છે. તે જે વાતાવરણમાં મોટો થશે, તેને તે સમાજમાં, તે સોસાયટીમાં અંગ્રેજી ભાષાના જ લોકો મળવાના કે પછી માતૃભાષાના ? આ દરેક બાબતનો વિચાર કર્યા પછી જ છોકરાના અભ્યાસનું માધ્યમ નક્કી કરવું જોઈએ, ના કે પછી આજુબાજુવાળાના છોકરાઓએ કયું માધ્યમ પસંદ કર્યું છે તે પરથી.

Must Read : મારા સપનાનું ભારત નિબંધ

 મારા મત મુજબ નાનું બાળક એ એક કુમળા છોડ સમાન હોય છે. હવે તમે જ વિચારો કે એક કુમળા છોડને ઝંઝાવાત સામે ઊભો કરી દેવામાં આવે તો તે કેટલો સમય ટકી શકશે ? અને ટકી પણ ગયો તો તેના મૂળ કેટલા મજબૂત હશે તેનો અંદાજ આપણે સૌ લગાવી શકીએ છીએ. બસ તમે એમ જ સમજો કે તમારું બાળક એ કુમળો છોડ છે, અને અંગ્રેજી માધ્યમ એ એક ઝંઝાવાત. 

આ ઝંઝાવાત સામે લડવાની તેની ઉંમર ૧૭ વર્ષ પછીની છે, અને આપણે તેને ૫ વર્ષનો હોય ત્યારે જ ધકેલી દઈએ છીએ. કોઈપણ બાળક પોતાના માતા પિતાની મહત્વાકાંક્ષામાં, નથી તેમને કંઈ કહી શકતું, કે નથી પોતાની પરિસ્થિતિ જીરવી શકતું. અને અંતે પરિણામ આવે છે – અપમૃત્યુ. જે આપણાં બધાની નજર સમક્ષ છે. હવે તમે જ વિચારો શું આપણે આપણા બાળકને આ રીતે મુરઝાવા દઈએ ખરા ? 

કોઈપણ ભાષા શીખવા માટેનાં ચાર આધાર સ્તંભ છે; સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું. જો તમે તમારા બાળકને અંગ્રેજીમાં ભણાવો છો, તો તેને આ ચારેય આધારસ્તંભ એક પછી એક શીખવા જ પડે છે. તેને અંગ્રેજીમાં સાંભળવાનો, બોલવાનો, વાંચવા તેમજ લખવાનો મહાવરો કરવો પડે છે. 

પરંતુ જો તમે તમારા બાળકને માતૃભાષામાં ભણાવો છો, તો પ્રથમ બે આધારસ્તંભ એટલે કે સાંભળવું અને બોલવું – આ તો ઘરેથી જ શીખી ગયા હોય છે. પછી બાકીના સમયમાં બીજા બે જ આધારસ્તંભ શીખવાના હોય છે. એટલે તમે જ વિચાર કરો, કયા માધ્યમમાં તમારું બાળક વધારે ઝડપથી ભાષા પર પ્રભુત્વ મેળવી શકશે ? માતૃભાષામાં કે પછી અંગ્રેજીમાં ? અને ત્યારબાદ જ નક્કી કરજો કે તમારા બાળકને કયા માધ્યમમાં ભણાવવું છે.

 matrubhasha ma shikshan in gujarati essay
માતૃભાષામાં શિક્ષણ નિબંધ

Must Read : મારી શાળા નિબંધ

 અંતમાં વાત કરીએ અભ્યાસમાં પસંદ કરેલી ભાષાની બાળકના માનસપટ પર થતી અસર અને તેના કારણે સમાજમાં થતી  પ્રતિક્રિયાની. આપણે ઘણીવાર જોયું હશે કે અંગ્રેજી માધ્યમનું બાળક એ મોટેભાગે એકલવાયું રહેતું હોય છે. તે બીજા સાથે ભળવાનું, રમવાનું અને બાળપણની મજા માણવાનું ઓછું પસંદ કરે છે. તેનામાં વ્યવહારુ જ્ઞાનનો મહદઅંશે અભાવ જોવા મળે છે. તેના કેન્દ્રસ્થાન પર હંમેશા “I” એટલે કે “હું” હોય છે. જ્યારે ગુજરાતી માધ્યમનું બાળક તમે જોશો તો તે મળતાવડા સ્વભાવનું, તરત જ બીજા સાથે ભળી જાય તેવું, સ્ફૂર્તિલું અને જીવનની બાલ્યાવસ્થા નો ભરપુર આનંદ માણવાવાળું હોય છે.

 છેલ્લે એટલું જ કહીશ કે વિદેશી ભાષા અંગ્રેજી એ આપણી માતૃભાષાના ભોગે આપણા પર હાવી ક્યારેય ન થવી જોઈએ. આપણી માતૃભાષાનો વૈભવ જ કંઇક જુદો છે. અહીંયા જતી વ્યક્તિને “bye” નહીં પણ “આવજો” કહેવામાં આવે છે.

લાગણીના જળ વડે અભિષેક કરું છું,
શબ્દો કાગળ પર લખી ચંદન કરું છું…
ક્યારેક ગીત, તો ક્યારેક ગઝલ કરું છું,
મારી માતૃભાષાને હું વંદન કરું છું…..   

લેખક :-   “નિષ્પક્ષ” પુષ્પક ગોસ્વામી, Insta ID : nishpaksh3109

આ ૫ણ વાંચો:- 

  1. પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ નિબંધ
  2. રાષ્ટ્રીય એકતા દિવસ
  3. વસંત પંચમી નિબંધ
  4. મિત્રતાની મીઠાશ નિબંધ

હું આશા રાખું છું કે તમને અમારો માતૃભાષામાં શિક્ષણ નિબંધ (matrubhasha ma shikshan in gujarati essay)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર જાણવા જેવુ, ગુજરાતી નિબંધ  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે.

x
WhatsApp Group Join Now
Telegram Group (1k+) Join Now

Leave a Comment